ગાંજાનો જથ્થો સુરતથી આયાત કર્યો હોવાની કબુલાત: સુરતના એક શખ્સને ફરારી જાહેર કરાયો

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરમાં બેડી વિસ્તારમાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરી રહેલા એક શખ્સને એસઓજી શાખાની ટુકડીએ વોચ ગોઠવી ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ દરમિયાન ગાંજાનો જથ્થો સુરત થી આયાત કર્યો હોવાનું  કબુલ્યું છે, અને સુરતના સપ્લાયર ને ફરારી જાહેર કરાયો છે.

મળતી વિગત મુજબ જામનગરની એસઓજી શાખાને ચોક્કસ બાતમી મળી હતી, કે બેડી વિસ્તારમાં ધરારનગર-૨માં રહેતા સલીમ સીદીકભાઈ સુંભણીયા નામના વાઘેર શખ્સ દ્વારા નસીલા પદાર્થ ગાંજાનું ખાનગીમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટુકડીએ ગઈકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો, અને સલીમ વાઘેરને ઝડપી લીધો હતો, અને તેના કબજા માંથી રૂપિયા ૫,૦૦૦ની કિંમતનો ૫૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો તેમજ અન્ય માલ સામગ્રી સહિત રૂપિયા ૧૦,૦૦૦ની માલમતા કબજે કરી છે. જેની સામે બેડી મરીન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. આ જથ્થો ક્યાંથી મેળવ્યો છે, જેની જાણકારી મેળવવા માટે તેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી હતી, જે પૂછપરછ દરમિયાન તેણે ગાંજા નો જથ્થો સુરત થી આયાત કર્યો હોવાનું અને સુરતના મુકેશ ઉર્ફે 'ભાઈ' નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબુલ્યું છે. જેને ફરારી જાહેર કરી તપાસનો દોર સુરત સુધી લંબાવ્યો છે.